રાજપીપળા
સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે કરમસદથી પ્રસ્થાન કરેલી સરદાર @ 150 યુનિટી માર્ચને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતા નગર તરફ પ્રયાણ કર્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોએ મહાપરિનિર્વાણ દિવસે મહાનુભાવોએ ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મહાનુભાવોની આગેવાનીમાં 150 પદયાત્રીઓ સાથે આગળ વધતી પદયાત્રાએ અંતિમ પડાવ તરફ કૂચ કરી હતી. ત્યારબાદ વીર ભગતસિંહ પ્રાથમિક શાળાના બાળકો દ્વારા પુષ્પવર્ષા કરી હતી. જ્યાં કેન્દ્રીય રાજ્યમંત્રી રક્ષા ખડસે પણ પદયાત્રામાં જોડાયા હતા.
જિલ્લાના અગ્રણીઓએ સરદાર સાહેબની પ્રતિકૃતિ સ્મૃતિચિન્હ સ્વરૂપે અર્પણ કરીને મહાનુભાવોને સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં ઉમળકાભેર આવકાર આપ્યો હતો. મહાનુભાવોએ નર્મદા માતા સામે શીશ નમાવીને પ્રજાકલ્યાણ અને રાષ્ટ્રના વિકાસની મનોકામના કરી હતી.
પદયાત્રામાં છોટા ઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, પૂર્વ સાંસદ રામસિંહ રાઠવા, નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ નીલ રાવ, નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહ તડવી, ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ સહિત દેશભરના 150 પદયાત્રીઓ, કરમસદથી જોડાયેલા યુવકો તથા સ્થાનિક નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા.












