તાપી વ્યારા
ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL), કાકરાપાર ગુજરાત સાઈટ અને સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા, વ્યારા વચ્ચે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) અંતર્ગત એક મહત્વપૂર્ણ MoU (સમજૂતી કરાર) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ MoU અંતર્ગત NPCIL કાકરાપાર દ્વારા CSR ફંડમાંથી અંદાજિત રૂ. ૧.૯૦ કરોડનો નાણાકીય સહયોગ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ રકમમાંથી ITI વ્યારા ખાતે એડવાન્સ વેલ્ડિંગ વર્કશોપ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડીશનીંગ ટેકનિશિયન લેબ, સોલાર ટેકનિશિયન લેબ તથા ઈન્સ્ટ્રુમેન્ટ મિકેનિક લેબ એમ એકંદર ચાર અદ્યતન લેબ અને વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટ હેઠળ જરૂરી આધુનિક મશીનરી, સાધનો અને તાલીમ સુવિધાઓ ઉભી કરાશે, જેનાથી તાલીમાર્થીઓને ઉદ્યોગોની જરૂરિયાતોને અનુરૂપ વ્યવહારુ કૌશલ્ય પ્રદાન કરી શકાશે. આ MoU પર NPCIL કાકરાપારના CSR ચેરમેન એ.કે. સાહુ તથા ITI વ્યારાના આચાર્ય એમ.એસ. પટેલે હસ્તાક્ષર કર્યા હતા.
NPCIL કાકરાપાર દ્વારા અગાઉ પણ CSR પ્રવૃત્તિઓ હેઠળ ITI વ્યારામાં વિવિધ લેબ અને વર્કશોપના નવીનીકરણ માટે મહત્વપૂર્ણ આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. આ નવા MoUથી તાપી જિલ્લાના યુવાનો માટે કૌશલ્ય વર્ધન અને રોજગારીના નવતર દ્રારા ખુલશે.
આ પ્રસંગે ITI વ્યારા તરફથી આચાર્ય (પ્રિન્સિપાલ વર્ગ-૨) શ્રીમતી એસ. એ. ચૌધરી, ફોરમેન ઈન્સ્ટ્રક્ટર કે. બી. ચૌધરી તથા સુપરવાઈઝર ઈન્સ્ટ્રક્ટર બી. ડી. પંચાલ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે NPCIL કાકરાપાર તરફથી CSR મેમ્બર સેક્રેટરી અરવિન્દ એલ. ભટ્ટ, પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર ગિરીશ મિત્તલ, CSR કમિટી મેમ્બર અમરપાલસિંહ રાવત તથા ઈતેશભાઈ ગામીત, કે ડી જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.










