તાપી સોનગઢ

રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, પ્રવાસન રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતે સોનગઢ નગરપાલિકા કક્ષાના જનકલ્યાણ શિબિરને સંબોધતા જણાવ્યું કે, ગુજરાતે છેલ્લા ૧૨ વર્ષમાં ગ્રામ વિકાસક્ષેત્રે અનેક નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ થકી નાગરિકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરાયો છે.
મંત્રી ડો. જયરામભાઈ ગામીતે કહ્યું કે, ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ), પીએમ-જનમન, પીએમ સ્વનિધિ યોજના, પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના સહિતની અનેક કલ્યાણકારી યોજનાઓનું અસરકારક અમલીકરણ કરીને ગ્રામીણ અર્થતંત્રને નવી ગતિ આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વર્ષ ૨૦૪૭ સુધીમાં ‘વિકસિત ભારત’ના વિઝનને સાકાર કરવા માટે ગુજરાતની સાથે તાપી જિલ્લાએ પણ કમર કસી છે. અહીંના ગરીબ, મધ્યમવર્ગ, યુવાનો, મહિલાઓ અને ખેડૂતોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરીને ગુજરાત, અને ગુજરાત થકી વિકસિત ભારતના પાયાને વધુ મજબૂત બનાવવામાં આવી રહ્યો છે.
જનકલ્યાણ શિબિરમાં રાજ્યમંત્રી ડો. જયરામભાઈ ગામીતના હસ્તે લાભાર્થીઓને યોજનાકીય લાભોનું પ્રતિકાત્મક વિતરણ કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમમાં સરકારની સિધ્ધિઓ, કામગીરી અને યોજનાકીય લાભો પ્રસ્તુત કરતી શોર્ટ ફિલ્મનું નિદર્શન કરાયું હતું.
જનકલ્યાણ શિબિરમાં વિવિધ વિભાગના સ્ટોલ્સ થકી લાભાર્થીઓ માટે ઉપલબ્ધ દસ્તાવેજી સેવાઓ, આવક પ્રમાણ પત્ર, આધાર કાર્ડ, યોજનાકીય સહાય, આરોગ્ય તપાસણી કેમ્પોની મુલાકાત લઈને સ્ટોલ્સ પ્રતિનિધિઓને પ્રત્યેક નાગરિકને યોજનાકીય લાભ હેઠળ આવરી લેવા અનુરોધ કરાયો હતો.
આ કાર્યક્રમમાં સોનગઢ નગરપાલિકા પ્રમુખ સારિકાબેન પાટીલ, સોનગઢ નગરપાલિકાના ચીફ ઓફિસર સહદેવસિંહ વનાર સહિત અગ્રણીઓ- આમંત્રિતો, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.










