વ્યારા


પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આજે દેશભરમાં ઉજવાયેલા “પી.એમ. કિસાન ઉત્સવ” દિવસ અંતર્ગત તાપી જિલ્લાના વ્યારા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર હોલ ખાતે તાલુકા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ નીતિનભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.
આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા બાંધકામ સમિતિના અધ્યક્ષ નીતિનભાઈ ગામીતે જણાવ્યું હતું કે વર્ષ ૨૦૧૯માં શરૂ થયેલી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે રૂ. ૬,૦૦૦ની આર્થિક સહાય ત્રણ સમાન હપ્તામાં આપવામાં આવે છે. દર ચાર મહિને મળતી રૂ. ૨,૦૦૦ની સહાય આર્થિક રીતે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહી છે.
નોંધનીય છે કે, આ યોજના અંતર્ગત આજે તાપી જિલ્લાના કુલ ૯૦,૭૬૭ ખેડૂત કુટુંબોને રૂ. ૧૯.૫૮ કરોડની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધી તેમના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. જેમાં વ્યારા તાલુકાના ૧૮,૩૦૭ ખેડૂત કુટુંબોના ખાતામાં પણ રૂ. ૩ કરોડ ૬૬ લાખની સહાય જમા થઈ હતી.
આ તકે વડાપ્રધાનએ આસામના ગૌહાટીથી વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ૨૨મા હપ્તાની સહાય DBT મારફતે દેશભરના ખેડૂતોના ખાતામાં જમા કરાવી હતી, જેનું સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓના ચેક વિતરણ કરાયા હતા. આ અવસરે જિલ્લા ખેતીવાડી અધિકારી ચેતન ગરાસિયા, આત્મા પ્રોજેક્ટ અધિકારી, કેવિકેના વૈજ્ઞાનિકો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.








